Main | My profile | Registration | Log out | Login | RSSSaturday, 20/04/2024, 5.17.35 PM

Health, Wealth & Life Insurance

DINESH PATEL

Certificate
Free Trust Seal
FREE.. નિ:શુલ્ક...
Site menu
Presentations
ગુજરાતી
Miscellaneous
Our poll
Is insurance useful?
Total of answers: 76
Login form
User Counter

ચાણક્યની દષ્ટિએ આદર્શ મા-બાપ

ચાણક્યની દષ્ટિએ આદર્શ મા-બાપ – સુપાર્શ્વ મહેતા


બાળકનો તંદુરસ્ત ઉછેર એ આજના યુગની મોટામાં મોટી સમસ્યા છે. પેરેન્ટીંગની કળા ખૂબ અઘરી છે. બાળકને જન્મ આપવાથી માબાપ બની જવાય છે, પણ બાળકનો તંદુરસ્ત ઉછેર કરનાર મા-બાપ જ ‘માતૃ દેવો ભવ:’ અને ‘પિતૃ દેવો ભવ:’ જેવાં પદોને લાયક છે. આજનાં મોટાભાગના માબાપો પોતાનાં બાળકોને યોગ્ય ઢબે ઉછેર કરવામાં નાકામિયાબ નીવડ્યા છે. તેને કારણે આજની નવી પેઢી દિશાવિહોણી બની ગઈ છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. બાળકોના ગલત ઉછેરની સમસ્યા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગમાં જ જોવા મળે છે તેવું નથી, શ્રીમંત કુળના નબીરાઓ પણ માતાપિતાની ભૂલોનો ભોગ બન્યા છે. શ્રીમંતોનાં બાળકોની તમામ જીદ માતાપિતાઓ પૂરી કરતાં હોવાથી તેઓ વંઠી જાય છે અને પરિવારની વગોવણી કરે છે. આ ગરીબ અને તવંગર એમ બંને પ્રકારનાં માતાપિતાની સમસ્યાઓ હલ કરી શકે તેવી અદ્દભુત ચાવીઓ ચાણક્યના નીતિશાસ્ત્રમાં આપેલી છે.

ચાણક્યના નીતિશાસ્ત્રમાં પિતાની પુત્ર પ્રત્યેની ફરજનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે, ‘બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. નીતિમાન અને સદાચારી પુત્ર જ કૂળમાં પૂજાય છે.’ સ્કૂલનું કાર્ય બાળકને ગણિત, વિજ્ઞાન, ભાષા, ઈતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ આપવાનું છે. બાળકને સદાચાર, વિનય, વિવેક, વડીલોની સેવા, ગરીબોની અનુકંપા, જીવદયા, ઈશ્વરભક્તિ, સંતસમાગમ, ઈમાનદારી વગેરે ગુણોનું શિક્ષણ તો પરિવાર નામની પાઠશાળામાં જ આપવાનું હોય છે. જે ખાનદાન અને સંસ્કારી પરિવારો હોય છે, જેમાં જન્મ ધારણ કરનાર પ્રત્યે બાળકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, તેવા જ પરિવારો સંસ્કારી અને ખાનદાન ગણાય છે.

બાળકોને સારા સંસ્કારો પરિવાર નામની સંસ્થામાં મળે છે તો તેને સુચારુ વ્યવહારિક શિક્ષણ માટે યોગ્ય સ્કૂલમાં મોકલવો પણ જરૂરી છે. આ સ્કૂલમાં બાળકને ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઈતિહાસ, જ્યોતિષ, કલા, સંગીત, વ્યાયામ વગેરે વિષયોનું શિક્ષણ જે તે વિષયના નિષ્ણાતો પાસે મળવું જોઈએ. જૂના જમાનામાં સ્ત્રીઓને 64 કળાઓ અને પુરુષોને 72 કળાઓ શિખવાડવામાં આવતી હતી. તેમાં ઉપરના તમામ વિષયોનો સમાવેશ થતો હતો. આ કળાઓ શિખનાર વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગિક વિકાસ થતો હતો અને તે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાની ક્ષમતા હાંસલ કરતો હતો. આજની સ્કૂલોમાં આ 64/72 કળાઓ પૈકી માંડ ત્રણ-ચાર કળાઓ જ ભણાવવામાં આવે છે, જેને કારણે આજની કેળવણી અધૂરી અને પાંગળી છે. પોતાનાં બાળકના વ્યક્તિત્વનો સર્વાંગીક વિકાસ કરવા માટે માબાપે તેમને આ 64/72 કળાઓનું શિક્ષણ તેના નિષ્ણાતો પાસે અપાવવું જોઈએ.

જે માતાપિતાઓ આ સર્વાંગિક શિક્ષણની બાબતમાં પોતાના સંતાનોની ઉપેક્ષા કરે છે, તેમની ઉપર ફિટાકાર વરસાવતાં ચાણક્ય કહે છે : ‘જે બાળકને યોગ્ય અભ્યાસ નથી કરાવવામાં આવતો તે બાળકની માતા બાળકની શત્રુ છે અને પિતા વેરી છે. હંસોની સભામાં જેમ બગલો નથી શોભતો તેમ સાક્ષરોની સભામાં મૂર્ખ બાળક શોભતો નથી.’ આજે માતાપિતાઓ પોતાનાં બાળકના શિક્ષણ અને ટયૂશન પાછળ હજારો અને ક્યારેક લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ આ શિક્ષણ બાળકને આત્મનિર્ભર અને સ્કોલર બનાવતું નથી. આજની શિક્ષણ પદ્ધતિ માત્ર ચાવી દીધેલાં રમકડાંઓ પેદા કરે છે, જેઓ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ થઈ જાય છે, પણ તેમનામાં કોઈ આવડત કે આત્મવિશ્વાસ હોતા નથી. બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી તેમના જ્ઞાનમાં અને સમજણમાં પણ વૃદ્ધિ થાય.

આજના માતાપિતાઓ સંતાનો પ્રત્યેના અતિમોહને કારણે તેમને ખૂબ લાડ લડાવે છે અને તેમની અયોગ્ય માંગણીઓ પણ પૂરી કરે છે. આ બાબતમાં માતાપિતાને લાલબત્તી ધરતાં ચાણક્ય કહે છે કે ‘બાળકને વધુ પડતાં લાડ કરવાથી તે બગડી જાય છે. બાળકને શિક્ષા કરવાથી તેનામાં ગુણનું સિંચન થાય છે. આ કારણે જ પુત્રને અને શિષ્યને વધુ પડતા લાડ કરવાને બદલે તેમનું તાડન કરવું જોઈએ.’ બાળકોનો સ્વભાવ જ જિદ્દી હોય છે. બાળકમાં ચંચળતા હોય છે અને ગંભીરતાનો અભાવ હોય છે. બાળકની જો બધી જિદ્દ સંતોષવામાં આવે તો બાળક વિવેકહીન બનીને નવી જિદ્દ કર્યા કરે છે. વળી તેની અંદર ચંચળતા હોવાથી વિદ્યાભ્યાસની અને કામની બાબતમાં તેઓ ગંભીર બની શકતા નથી. આ સંયોગોમાં બાળક સાથે કડકાઈથી વર્તવું જોઈએ અને જરૂર પડ્યે તેમને મેથીપાક પણ આપવો જોઈએ. પિતા પોતાના પુત્રનું અથવા ગુરુ શિષ્યનું તાડન કરે છે ત્યારે પણ તેનામાં દ્વેષભાવ નથી હોતો પણ કરુણાભાવ જ હોય છે. નીતિશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું જોઈએ અને પછી દસ વર્ષ સુધી તાડન કરવું જોઈએ. જે માતાપિતા તાડન કરવાના પ્રસંગોમાં બાળકને લાડ લડાવે છે, તેઓ હકીકતમાં બાળકના હિતશત્રુ છે. વધુ પડતા લાડને કારણે બાળક અહંકારમાં આવી જાય છે અને તે પોતાના વડીલો સાથે પણ તોછડાઈથી વર્તવા લાગે છે. બાળકના અહંકારને કાબૂમાં રાખવા અને તેની અંદર વિનય ગુણનો વિકાસ કરવા માટે પણ તેનું તાડન કરવું જરૂરી છે. જૂના જમાનામાં કહેવત હતી : ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ આ કહેવત બહુ સાચી હતી અને આ પદ્ધતિએ આપવામાં આવતું શિક્ષણ ખૂબ નક્કર હતું. આ પદ્ધતિએ આંકના જે ઘડિયા ભણાવવામાં આવતા તે જિંદગીભર યાદ રહેતા અને મોટી ઉંમરે પણ હિસાબ ગણવામાં ઉપયોગી થતા.

આજે શિક્ષણમાં ‘બાળકોને શારીરિક શિક્ષા કરાય જ નહીં’ એવો જે પ્રચાર થઈ રહ્યો છે, તે બાળકના કે શિક્ષણના હિતમાં નથી. બાળકને જો શિક્ષકનો ડર ન હોય તો તે શિક્ષકને ગાંઠે નહીં. આજની સરકારે શારીરિક શિક્ષાની વિરુદ્ધના કાયદાઓ કરીને શિક્ષકોને નપુંસક જેવા બનાવી દીધા છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં અશિસ્ત અને અવિનય વધી રહ્યા છે. જો આપણે બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માંગતા હોઈએ તો તેના માટે કડકાઈ જરૂરી છે. આ કડકાઈ કરવાની શિક્ષકને સત્તા આપવાની હિમાયત ચાણક્યે કરી છે. આ ભલામણનો અમલ દરેક મા-બાપે અને શિક્ષકે કરવો જોઈએ. અલબત્ત, શારીરિક શિક્ષા પણ પદ્ધતિસરની અને કરુણાથી ભરેલી હોય છે. બાળકોને બેફામ મારવાની વાતને અહીં સમર્થન નથી.

ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ‘જેનો પુત્ર આજ્ઞાંકિત હોય, પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધનવૈભવ થકી સંતુષ્ટ હોય તેના માટે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.’ શ્રીમંતોને પોતાની ધનદોલતનું અભિમાન હોય છે. તેઓ એવું માનતા હોય છે કે ધનથી બધું સુખ ખરીદી શકાય છે, પણ ચાણક્ય અલગ જ વાત કરે છે. ધનને જરા પણ મહત્વ આપ્યા વિના ચાણક્ય કહે છે, ‘જેનો પુત્ર આજ્ઞાંકિત હોય અને પત્ની પવિત્ર હોય તેના માટે અહીં જ સ્વર્ગ છે.’ શું ધનથી આજ્ઞાંકિત પુત્ર કે પવિત્ર પત્ની મેળવી શકાય છે ? કોઈ વ્યક્તિ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ પુત્ર કહ્યામાં ન હોય અને પત્ની કુલટા હોય તો તે સુખી બની શકે ખરો ? પુત્ર આજ્ઞાંકિત ત્યારે જ બને, જ્યારે તેને આગળ જણાવ્યા મુજબ કડકાઈથી તાલીમ આપવામાં આવી હોય. સાચા પુત્રની, પિતાની, પત્નીની અને મિત્રની વ્યાખ્યા આપતા ચાણક્ય કહે છે : ‘જે પિતાની સેવા કરે છે, તે જ પુત્ર છે. (અર્થાત્ જેઓ પિતાની સેવા નથી કરતા તેમનામાં પુત્ર કહેવડાવવાની લાયકાત જ નથી.) જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે, તે જ ખરો પિતા છે. જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય તે જ મિત્ર છે અને જે હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.’ આજકાલ કેટલા પુત્રો પોતાના માતાપિતાની સેવા કરે છે ? કેટલા મિત્રો ઉપર વિશ્વાસ મૂકી શકાય છે ? કેટલી પત્નીઓ મનને આનંદિત કરે અને બધો ભાર હરી લે તેવા મધુર વચનો બોલનારી હોય છે ? આ સવાલ બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ સવાલના જવાબ ઉપરથી આપને સુ:ખી છીએ કે દુ:ખી તેનો નિર્ણય કરવો જોઈએ.

જેમ સુગંધિત ફૂલોવાળું એક જ વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે, તેમ એક જ સુપુત્ર સમગ્ર કુળનું નામ રોશન કરી શકે છે. જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતાં સમગ્ર જંગલ બળીને ખાખ થઈ જાય છે, તેમ એક કપૂત સમગ્ર કૂળનો નાશ કરી શકે છે. જેમ એક જ ચન્દ્રમાની ચાંદનીથી કાળી રાત ખીલી ઊઠે છે, તેમ એક જ વિદ્વાન પુત્રથી પરિવારની શોભા ખીલી ઊઠે છે. શોક અને સંતાપ ઉપજાવનારા ઘણા પુત્રોથી કોઈ ફાયદો નથી થતો, પણ કુળનું નામ રોશન કરવા એક જ સંસ્કારી પુત્ર પર્યાપ્ત છે. આવો પુત્ર પ્રાપ્ત કરવા માટે પુત્રોનું યોગ્ય ઘડતર કરવું જરૂરી બની જાય છે. આ કારણે જ પુત્ર ઉછેરની કળાને સૌથી અઘરી કળા ગણવામાં આવી છે. આજના શ્રીમંત માબાપોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, શું તેઓ પોતાના બાળકોનો તંદુરસ્ત ઉછેર કરી રહ્યા છે ? જો તેઓ પોતાનાં બાળકોના ઉછેરની બાબતમાં બેદરકાર રહેશે તો આ બાળકો મોટાં થતાં તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા પણ અચકાશે નહીં. ભવિષ્યમાં આવું ન બને તે માટે પણ આજનાં માબાપોએ પોતાના બાળકનાં તંદુરસ્ત ઉછેરની બાબતમાં જાગૃત બનવું પડશે.

Select Language
Subscribed Link
AD
Want to Earn Money?
Join RupeeMail!
Get paid to open your mails.
Its Free!

Calculator
Calendar
«  April 2024  »
SuMoTuWeThFrSa
 123456
78910111213
14151617181920
21222324252627
282930
Worldwide Visiters
free counters
Search

For best view use Internet Explorer 7.0 or above, Google Chrome or Mozilla Firefox.
© All rights reserved. No part of this website may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, Health, Wealth & Life Insurance. Any breach will entail legal action and prosecution without further notice.
Copyright: Health, Wealth & Life Insurance © 2024
This Website is developed by Margesh Patel.
Website builderuCoz