૧૯૯૦ના દાયકામાં તત્કાલીન એએનઝેડ ગ્રીન્ડલેઝ બેન્ક દ્વારા તેના સિલ્વર કાર્ડ માટે જાહેરાત ઝુંબેશ ચલાવાઈ હતી, જેને એવોર્ડ પણ મળ્યો હતો. જાહેરાતમાં એક યુવાન મહિલાને હોસ્પિટલમાં તેની દાદીમાની બાજુમાં બેઠેલી દર્શાવાઈ હતી.
આગલી રાત્રે જ્યારે તેણે પોતાની દાદીમાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાની જાણ કરવામાં આવી ત્યારે તે કેટલી ગભરાઈ ગઈ હતી એ વિશે યુવાન મહિલા વાત કરી રહી હતી. રાત્રે પોલીસે તેને એરપોર્ટ પહોંચવામાં મદદ કરી હતી ત્યારે તેના મિત્રનું ક્રેડિટ કાર્ડ તેની પાસે ન હોત તો તે પ્લેનની ટિકિટ ખરીદી ન શકી હોત.
આપણે સર્વેએ એક યા બીજા પ્રકારે આ પ્રકારની ક્ટોકટીનો અનુભવ કર્યોછે. જેને આપણે ઈમર્જન્સી કહીએ છીએ એ એવી ઘટના છે, જે અચાનક બનતી હોય છે અને તે ક્યારે ઘટશે એ આપણે જાણતા નથી હોતા.
ક્ટોકટી (ઈમર્જન્સી) આઘાત, ચિંતા, હતાશા, તણાવ અને લાચારી પણ સાથે લાવે છે. ઘણા લોકો પોતાના બાળકોના શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવા, નિવૃત્તિ અને વિવિધ હેતુસર આયોજન કરે છે, પરંતુ ઘણા ઓછા લોકો ઈમર્જન્સી માટે આયોજન કરે છે.
આકસ્મિક કે ઓચિંતી બનતી ઘટનાને કારણે આવક ગુમાવવી પડે છે અથવા ખર્ચમાં વધારો થાય છે. દાખલા તરીકે, નોકરી ગુમાવવાથી કમાણી અટકી જાય છે. ધરતીકંપ અથવા દુકાળ જેવી કુદરતી આફતને કારણે આવક ગુમાવવી પડે છે અને સાથે સાથે ખર્ચમાં પણ વધારો થાય છે.
ઓચિંતી ઘટનાની ભાવનાત્મક અસરનું મૂલ્યાંકન કરવું અઘરું છે, પરંતુ આર્થિક નુકસાન ઘટાડવાનું નિશ્ચિતપણે સંભવ છે. કોન્ટિન્જન્સી (ભાવિ આકસ્મિક ઘટના) માટે કેટલીક રકમ બાજુ પર રાખવાથી આ પ્રકારની આર્થિક અસર (નુકસાન) ઘટાડવામાં મદદ થાય છે.
ખર્ચની ગણતરી
સામાન્ય વ્યક્તિ માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનું આયોજન પૂરતું છે. મહિનાના ખર્ચની યાદી બનાવી આયોજનની શરૂઆત કરી શકાય. આ ખર્ચાઓને મરજિયાત અને ફરજિયાત એમ બે ભાગમાં વહેંચી શકાય.
ભાડું, ગેસ, વીજળી, ટેલિફોન, શાળાની ફી, કરિયાણાનું બિલ, રાબેતા મુજબની આરોગ્યની સંભાળ, ઈન્શ્યુરન્સ પ્રીમિયમ, દૂધ અને શાકભાજીનો ખર્ચ, બિલ્ડિંગ-સોસાયટી મેઈન્ટેનન્સ, ટ્રાન્સપોર્ટેશન-ટ્રાવેલિંગ ખર્ચ અને લોનના હપ્તા અને ઈએમઆઈ એ ફરજિયાત ખર્ચના ઉદાહરણ છે.
મનોરંજન, વેકેશન, સુખસગવડના સાધનોની ખરીદી, કલબના સભ્યપદની ફી અને ઈત્યાદિ મરજિયાત (સ્વૈચ્છિક) ખર્ચાઓ છે.
ઈમર્જન્સી ફંડની ગણતરી કરવા માટે તમારા ફરજિયાત ખર્ચાઓને ત્રણ વડે ગુણો, કપા કરીને નોંધી લો કે, કોઈપણ બાબત માટે ત્રણ મહિનાથી ઓછા સમયનું આયોજન એ જોખમભર્યું જીવવાનું છે. જોકે, (ત્રણ મહિનાથી વધુ) વધુપડતી જોગવાઈનો અર્થ એવો થાય કે તમારા આકરી મહેનતના નાણાં તમારા માટે અપેક્ષિત વળતરનું નિર્માણ કરતા નથી.
નિવૃત્ત વ્યક્તિની બાબતમાં, છ મહિનાની જોગવાઈ (વ્યવસ્થા) હોવી જોઈએ તે જ રીતે સ્થિર રોજગાર ન ધરાવતી વ્યક્તિએ લગભગ ચારથી પાંચ મહિના માટે જોગવાઈ કરવી જોઈએ.
ભંડોળ સલામત રાખવું
એક વાત ઘ્યાનમાં રાખવાની કે અલગ રાખેલું ભંડોળ માત્ર ઈમર્જન્સી માટેની જોગવાઈ છે. તેના પર વળતર મેળવવા માટે આનો ઉપયોગ ન કરવો જોઈએ. સહજ પ્રાપ્તિ અને પ્રવાહિતાને પ્રાથમિક મહત્વ આપવું જોઈએ. તમે બે જગ્યાએ તમારું ઈમર્જન્સી ફંડ રાખી શકો.
ઘરમાં રોકડ રકમ : ઈમર્જન્સી ફંડનો કેટલો હિસ્સો ઘરમાં રોકડા તરીકે રાખવો જોઈએ. આ વિશ્વમાં હાથમાં નક્કર રૂપિયા જેવું કશું ઉત્તમ નથી.
બેન્ક : બેન્ક એ ઈમર્જન્સી ફંડ રાખવા માટેની ઉત્તમ જગ્યાઓમાંથી એક છે. એટીએમ ઓફર કરતી હોય એવી બેન્ક પસંદ કરવાનું યોગ્ય રહેશે. બેન્ક નાણાં ઉપાડવા માટે બ્રાન્ચનું મોટું નેટવર્ક ધરાવતી હોય તો વધારે સારું. આ ભંડોળ તમે ફિકસ્ડ ડિપોઝિટ સાથે લિન્ક ધરાવતા બચત ખાતામાં રાખી શકો.
આવી ઓચિંતી-અનિશ્ચિત જવાબદારીઓ (કોન્ટિજન્સી) ક્યારેક જ આવી પડતી હોય છે. છતાં વ્યક્તિના જીવન પર તેની ઊડી અસર પડી શકે છે. લાગણીકીય અસર માટે કોઈ ઈલાજ નથી. પરંતુ યોગ્ય આયોજન વડે નાણાકીય તંગી (ચિંતા) ઘટાડી શકાય છે.